આજે ગજેરા વિદ્યા ભવન, કતારગામ ખાતે ચંદ્રયાન-3 લોન્ચ ડે નિમિત્તે એક પ્રેરણાદાયી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે શ્રી મનસુખભાઈ નારિયા ઉપસ્થિત રહ્યા હતા.
સેમિનારમાં ધોરણ 9ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. મુખ્ય વક્તાએ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) દ્વારા હાથ ધરાયેલા ચંદ્રયાન-3 મિશન, તેના સફળ પ્રક્ષેપણ, ઉદ્દેશો, વૈજ્ઞાનિક સિદ્ધિઓ અને ભારતના અવકાશ ક્ષેત્રે વધતા ગૌરવ વિશે સરળ અને રસપ્રદ રીતે વિસ્તૃત માહિતી આપી હતી.
વિદ્યાર્થીઓને ચંદ્રયાન-3ના લોન્ચથી લઈને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ સુધીની સમગ્ર સફર અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. સાથે જ તેમણે વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ, નવીન વિચારસરણી અને સંશોધન પ્રત્યેની જિજ્ઞાસા વિકસે તે માટે પ્રેરણાદાયી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું.
આ સેમિનાર દ્વારા વિદ્યાર્થીઓના જ્ઞાનમાં નોંધપાત્ર વધારો થયો તેમજ ભારતની વૈજ્ઞાનિક સિદ્ધિઓ પ્રત્યે ગૌરવની લાગણી વધુ મજબૂત બની. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો